Sunday 16 March 2014

માણસ થાકી જાય છે



એટલું નક્કી કરતાં,જીવન આખું જાય છે,
આખરે શેના કારણે,માણસ થાકી જાય છે.

બુદ્ધિની વાત માનતાં,દિલ રિસાઈ જાય છે.
દિલને જો મનાવો,બે આંખે પાણી જાય છે.

વહાવી લેવા આંસુ,બધો ભાર હટી જાય છે,
દર્દ દબાવી દબાવી,માણસ થાકી જાય છે.

દોડતાં ભાળી સહુને,દોડવા લાગી જાય છે,
ખબર નથી ઉત્તર,જો પૂછો,તું ક્યાં જાય છે?

અર્થ વિનાની દોડમાં,આયખું વીતી જાય છે,
અંતે કંઈ ના મળતાં,માણસ થાકી જાય છે.

મળેલું ગયેલું બધું, ચોપડે રહી જાય છે,
સીકંદરો પણ અંતે, ખાલી હાથે જાય છે.

ભરો રેત ગમે એટલી, આખરે સરી જાય છે,
ખાલી હાથ જોઈ જોઈ, માણસ થાકી જાય છે.

-         Baiju Jani

(૧૬/૩/૨૦૧૪)

Wednesday 5 March 2014

ચેક લીસ્ટ

જેમ ટી.વી. જોતાં વીજળી ગૂલ,
એમ જીવન બત્તી થાશે ગૂલ.

કેટલાંય સોરી ને થેંક્યું બાકી,
પ્રેમની વાત પણ ઉધાર રાખી,

અંત સમયે બસ આનો ભાર,
આપશે  વેદના  અપરંપાર.

કામના ઘણાં બનાવ્યા લીસ્ટ,
હવે લાગણીનું લખો ચેક લીસ્ટ.

કહો પ્રેમથી અને મારો ટીક,
જીવન જાતે થઇ જશે ઠીક.

-       Baiju Jani
(૦૫/૦૩/૨૦૧૪)




અનિશ્ચિતતા. જીવનની એકમાત્ર વાસ્તવિકતા. જેમ ટેલીવીઝન જોતાં જોતાં અચાનક વીજળી જતી રહે, બસ એવું જ કંઇક મૃત્યુ છે. ગમે ત્યારે આવી શકે. છેલ્લા સમયે બધાને મળવાનું મન થાય છે. થોડું શાંતિથી વિચારીએ તો આના પાછળનું મોટામાં મોટું કારણ એ હોઈ શકે કે દરેકને કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય છે. કોઈને સોરી કહેવાનું બાકી હોય એ યાદ આવે, કોઈનો આભાર માનવાનો હોય એ યાદ આવે. પ્રેમના બે મીઠાં શબ્દો કહેવાનાં હોય એ માટે પણ આપણે વિલંબ કરતાં હોઈએ છીએ. આવા સમયે માણસ ઉદાસ થઇ જાય છે. આનંદથી મૃત્યુને ભેટતાં ઉદાહરણો ઓછા જોવા મળે છે એનું એકાદ કારણ અવ્યક્ત લાગણીઓ પણ હોઈ શકે. જીવનનાં રોજીંદા કામો માટે આપણે ચેક લીસ્ટ બનાવતાં હોઈએ છીએ પણ અવ્યક્ત લાગણીઓની કોઈ યાદી આપણી પાસે હોય છે ખરી?. મજાની વાત એ છે કે સૌથી વધું લાગણીઓ વ્યક્ત કરવાની રહી જતી હોય તો એ પોતાનાં ઘરમાં. પતિ-પત્ની એકબીજાને સોરી કે થેંક્યું જવલ્લેજ કહેતાં હોય છે. છેલ્લે આઈ લવ યુ ક્યારે કીધું એ ઘણીવાર યાદ નથી હોતું. ઘણાને આ ફોર્માલીટી લાગે પરંતુ આની પણ મજા છે. સંબંધો પર આની પણ અસર પડે છે. એ જ રીતે મમ્મી, પપ્પા, ભાઈ કે બહેનને માટે પણ આપણી આવી ઘણી અવ્યક્ત લાગણીઓ હોય છે.  આજે ઘરની વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરી જોજો કે કરેલ ભૂલ માટે સોરી કહી જોજો. દિલથી એકવાર આઈ લવ યુ કહી જોજો. હ્રદય હળવું ફુલ થઇ જશે.

Friday 28 February 2014

Wednesday 19 February 2014

કાયમ રહે છે...


લાગે છે એટલેજ પ્રેમને ઈશ્વર કાયમ ક્હે છે,
પ્રેમીઓ મળે કે ન મળે, પ્રેમ કાયમ રહે છે.

મળવું ન મળવું બધું સંજોગ આધીન રહે છે,
મુદ્દાની વાત તો એ છે કે સંબંધ કાયમ રહે છે.

મળી જાય તો ફર્ક એટલો, એ નજર સામે રહે છે,
ના મળે તોયે નજર સામે એક નજર કાયમ રહે છે.

મળી જાય તો એ ખરું, કે તે વાત કાયમ કરે છે,
ના મળે તોયે વાતવાતમાં એની વાત કાયમ રહે છે.

મળી જાય તો એની સુગંધથી ઘર મહેકતું રહે છે,
ના મળે તો પણ હવામાં એક સુગંધ કાયમ રહે છે.


-       Baiju Jani
(૧૯/૨/૨૦૧૪)



Friday 14 February 2014

પ્રથમ પ્રેમ




કેના શેઠ. લાખો હ્રદયોમાં વસેલી એક સફળ અભિનેત્રી. કોલેજકાળથી જ એ આકર્ષક હતી. કેટલાય ભોળાભટ યુવાનોએ એને પ્રપોઝ કરેલું પણ કેનાનો હંમેશા એક જ જવાબ રહેતો. હું તો એક અભિનેત્રી બનવા માંગું છું અને અભિનેત્રીઓ કોઈ આલતુંફાલતુંના પ્રેમમાં ન પડે. એ કોઈને ભાવ ન આપતી. મનનાં ઊંડાણમાં કેનાને કોઈ ગમતું તો એ હતો,પ્રભાત રાણા. રાજવી કુટુંબનો એક ફૂટડો નવજુવાન. એની રાજવી છટાઓ સામે કેનાને બધાં હીરો બબુચક જેવા લાગતાં. પણ પ્રભાતનું વ્યક્તિત્વ એવું હતું કે કેના એની સાથે વાત કરતાં પણ ડરતી હતી.  

કોલેજના વાર્ષિક સમારંભમાં જોધા અકબરનું નાટક ભજવવાનું પ્રોફેસર સાહેબે નક્કી કર્યું. અકબર કોણ બનશે એ માટે તો પ્રભાત સિવાય એમને બીજું નામ સુજ્યું જ નહીં અને કેના અભિનયમાં હોશિયાર અને રૂપનો અંબાર એટલે જોધા તરીકે એની પસંદગી કરવામાં આવી. નામ જાહેર થતાં કેનાના મનમાં તો લાડુ ફૂટવા માંડ્યા. હવે પ્રભાત જોડે વાત કરવાનો મોકો મળશે એવા વિચારોથી એ રોમાંચિત થઇ ઉઠતી. આખી કોલેજને આ પસંદગી એકદમ બરાબર લાગી. બધા જયારે કેના અને પ્રભાતને પરફેકટ કપલ કહેતાં ત્યારે કેના મનમાં ને મનમાં ખુબ હરખાતી.

જરૂર છે...


થોડો સમય હવે આપવાની જરૂર છે,
આ પ્રેમને નજીકથી જાણવાની જરૂર છે.

ન સમજાય પ્રેમ કદી આપ-લે ના ચક્કરમાં,
કંઈ લીધાં વિના બધુય આપવાની જરૂર છે.

બદલામાં મળતો પ્રેમ ઓછો લાગશે કાયમ,
જેને આપો,તેની મોજને માણવાની જરૂર છે.

ન હોઈ શકે દુઃખનું કારણ પ્રેમ કદી પણ,
આ અપેક્ષાઓને થોડી તપાસવાની જરૂર છે.

કોણ સમજી શક્યું છે કદી બીજાને પૂરું અહીં,
ન સમજે તોય, પ્રેમ દાખવવાની જરૂર છે.

જે કહી શકાય છે એ કદી નથી હોતું પુરતું,
શબ્દની સાથે મૌન પણ, સાંભળવાની જરૂર છે.

નહીં જણાય પ્રેમને પૂરો ‘સંબંધોમાં સીમિત’,
આ ‘ભાવ’ને ‘સ્વભાવ’ બનાવવાની જરૂર છે.

-     Baiju Jani
(૧૪/૨/૨૦૧૪)


Friday 7 February 2014

એકદમ ખાસ, The One.



સંબંધો. અનેક પ્રકારના સંબંધો હોય છે આપણા જીવનમાં. દરેકને એક ચોક્કસ નામ. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, બા, દાદા વગેરે વગેરે. દરેક સંબંધ રૂપે એક વ્યક્તિ આપણા જીવનમાં અસ્તિત્વ ધરાવે છે. જીવનમાં દરેક વ્યક્તિનું એક ચોક્કસ મહત્વ અને ચોક્કસ સ્થાન હોય છે. પણ આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે એકદમ ખાસ હોય છે. આ બધાં નામોમાંથી જ એક, પણ કોઈ ચોક્કસ નહીં. દરેક વ્યક્તિ માટે અલગ અલગ. કોઈના માટે માતા, કોઈના માટે પિતા, તો કોઈના માટે પતિ, પત્ની, પ્રેમી, મિત્ર, ભાઈ કે દાદા. તેની સાથેનો સંબધ સૌથી અલગ. હા, દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ જરૂર હોય છે જેને તમે કહી શકો, એકદમ ખાસ, The One.

કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે બીજાં સંબંધો તેના કરતાં ઉતરતાં છે. પણ એ વ્યક્તિ ખાસ એટલા માટે બની જાય છે કે એ તમારામાં રહેલી સંભાવનાને જુએ છે. તમારા Potential ને ઓળખે છે. દરેક વ્યક્તિમાં કંઇક વિશેષ કરવાની સંભાવના હોય છે. પણ મોટાભાગે એ વ્યક્તિને કાં તો ખબર નથી હોતી યા  તો પોતાનાં પર વિશ્વાસ નથી હોતો પરંતુ એને તમારા પર હંમેશા વિશ્વાસ હોય છે. અને આ જ કારણથી એ વ્યક્તિ ખાસ બને છે. દરેક બીજમાં વૃક્ષ બનવાની સંભાવના હોય છે. પણ માત્ર સંભાવનાથી બીજ વૃક્ષ નથી બની જતું. કોઈ આ બીજને જમીનમાં રોપે છે, તેને સમયસર પાણી આપે છે અને એ વૃક્ષ ન બને ત્યાં સુધી તેનું રક્ષણ કરે છે. આવું જ કંઇક કામ એ વ્યક્તિનું હોય છે.

આટલું વાંચ્યા પછી તમારા મનમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવી ગયું હશે. જો હા, તો બહુ સરસ. જો ના તો આ ચોક્કસ વ્યક્તિને કેમ ઓળખાય તેની વિશે થોડી વાત કરીએ. શું તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે હંમેશા તમારી જોડે સારી રીતે વર્તે છે? દરેક સંબંધોમાં ખાટીમીઠી ચાલ્યા કરતી હોય છે પણ કોઈ એવું પણ છે જેની જોડે તમે કદાચ કોઈ વાર ખરાબ વર્તન કર્યું હશે પણ તેનું વર્તન કદી બદલાયું નથી? જયારે તમે જીવનમાં હારી ગયા હોવ કે કંઈ પણ બરાબર લાગતું ન હોય ત્યારે તમે કોઈની પાસે દોડી જાવ છો, અને તેની પાસે જઈ બીજીજ મીનીટે તમને બધું બિલકુલ બરાબર લાગવા માંડે છે? (અહીં એ કહ્યા વગર રહેવાતું નથી કે હજી બે વર્ષ પહેલા સુધી, મારા દાદા હયાત હતાં. હું ઘણીવાર એમની પાસે જઈને એમના ખોળામાં સુઈ જતો. બધાને માટે એ ખાલી વ્હાલભર્યું વર્તન જ હતું પણ મારા માટે એ અનુભવ વર્ણવી શકાય તેવો નથી.) જયારે તમે કોઈ મુશ્કેલીમાં હોવ કે બસ એમ જ ઉદાસ હોવ ત્યારે કોઈ ચોક્કસ માણસને મળવાનું કે તેની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈ એવું વ્યક્તિ છે જેનાથી તમે કોઈ પણ વાત છુપી રાખવા માંગતા નથી? જયારે તમે કોઈને ખુબ યાદ કરતાં હોવ ત્યારે જ તેમનો ફોન આવી જાય કે એ ખુદ આવી જાય એવું વારંવાર બને છે? જયારે તમે દુઃખી હોવ ત્યારે મળતાંવેત જ કોઈ તમને પૂછી લે છે કે, શું થયું? શું કોઈને માત્ર મળીને કે માત્ર તેમની સાથે બેસીને કે ખાલી થોડી આડી અવળી વાતો કરીને તમને આનંદ આવે છે? આવો કોઇપણ અનુભવ જેની જોડે થતો હોય અને એક જ વાક્યમાં કહેવું હોય તો જેની સાથે અને જેની પાસે તમે આરામનો અનુભવ કરતાં હોવ એ છે The One.

આ વિશિષ્ટ વ્યક્તિ આપણી ખુબ જ નજીક હોઈ શકે છે અને ઘણીવાર ખુબ દૂર. એનાથી બહુ મોટો ફર્ક નથી પડતો. એનું હોવું એ જ એક મોટી વાત છે. એ હંમેશા તમારા માટે પ્રેરણારૂપ બની રહે છે.  જરૂર છે બસ એને ઓળખવાની. સભાનપણે. બહુ ઊંડે તમને એ ખબર જ હોય છે એ કોણ છે પણ જયારે તમે એને સભાનપણે ઓળખો છો ત્યારે જ તમે તેને એવું માન અને પ્રેમ આપી શકો છો જેના માટેના તેઓ હકદાર છે. એ છે અને તમે પણ છો ત્યાં સુધીમાં એમને એ કહી દેવું ખૂબ જરૂરી છે કે, “મારા જીવનમાં આવવા માટે તમારો આભાર.” જયારે તમે તેની આંખમાં આંખ નાખીને આમ કહો ત્યારે જો તમે બંને આગળ કંઈ બોલી ન શકો,  બંને ચહેરા પર સ્મિત હોય અને હ્રદયમાંથી કોઈ ઉમળકો આંખ વાટે વહી જાય તો માનજો કે, એ જ વ્યક્તિ છે, THE ONE.



-     Baiju Jani.